અમદાવાદઃ એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ સાઇટ પરથી હૈયું હચમચાવી નાખે તેવા મૃતદેહ મળ્યા. દુર્ઘટના બાદ જ્યારે કાટમાળની તપાસ કરાઈ ત્યારે કીમતી સામગ્રી પણ મળી રહી છે. અત્યાર સુધીમાં અડધા બળી ગયેલા પાસપોર્ટ, રૂ. 15 લાખની ભારતીય તથા વિદેશી કરન્સી, રૂ. 80 લાખના દાગીના અને ઘડિયાળ મળી લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જો કે આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, જે આગમાં માણસોને બચવાનો સમય ન મળ્યો, ત્યાં ઘણા પેસેન્જરના ડોક્યુમેન્ટ અને પર્સ સહિતની સામગ્રી હેમખેમ મળી આવી છે.
એથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જે હોસ્ટેલના ધાબે વિમાનની ટેઇલથી એક એર હોસ્ટેસ અને બે બાળકના બળેલા મૃતદેહ મળ્યા હતા, પરંતુ ત્યાં રખાયેલી સામગ્રી બળી નહોતી. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘અંદરથી જે રીતે વસ્તુઓ મળી રહી છે તે આશ્ચર્યથી ઓછી નથી. માનવી આખા ભડથું થઈ ગયા તેવી આગમાં કપડાં. દસ્તાવેજો, એર હોસ્ટેસનાં પર્સ અને તેમની મેકઅપ કિટ સહિતના ઘણાબધા સામાનને કોઈ નુકસાન થયું નહોતું.