નવજીવન વડિલ કેન્દ્રને ગુરૂવાર તા ૧૨ જુનના રોજ નોર્થવેસ્ટ લંડનમાં વોલંટીયરી સર્વિસ માટે ૧૦ વર્ષ અગાઉ ક્વીન્સ એવોર્ડ મળ્યો હતો એની દશાબ્દિની ઉજવણી વેમ્બલીના સત્તાવીસ ગામ પાટીદાર સમાજ હોલમાં ગૌરવભેર કરી હતી. આ પ્રસંગે લંડન બરો ઓફ બ્રેન્ટ, મોનાર્કના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટન્ટ મિસ. મી સિમ લાઇ OBE, બ્રેન્ટના મેયર શ્રી રાયન હેક, હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ, એલ્સ્ટન ધ રેલ કંપનીના પ્રોજેક્ટ હેડ એની મેરી રોલ્ટર અને નીના અટ્ટવાલ (હેડ ઓફ સોસીયલ વેલ્યુ), સત્તાવીસ ગામ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઇ અને શ્રીમતી ભાવનાબહેન પટેલ તથા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રતિનિધિ, યોગ શિક્ષિકા મનીષાબહેન વાલા સહ કેન્દ્રના વડિલો, સ્થાપક સભ્યો અને આમંત્રિત મહેમાનોની ૨૭૦ જેટલી હાજરીથી હોલ ભરાઇ ગયો હતો.
૧૨ જુનના રોજ અમદાવાદ એરપોર્ટ પર થયેલ ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા આત્માઓના શ્રેયાર્થે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્ણિમાબહેન મહેતાએ સરસ રીતે કર્યું હતું તો વળી પૂર્ણિમાબહેન મેશ્વાણીએ ક્વીઝ રમાડી સૌને દિમાગ કસવાનો અવસર આપ્યો હતો. પ્રેસિડેન્ટ શ્રી વિનોદભાઇ પારેખે સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે, એમના હોદ્દા દરમિયાન નેતાગીરીના પાઠ શીખવા મળ્યા ઉપરાંત કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો જે તેમના માટે આનંદ અને ગૌરવનો વિષય હતો. દર ગુરૂવારે આ હોલમાં નવજીવન વડિલ કેન્દ્રના સભ્યો સાથે મળી યોગા ઉપરાંત વિવિધ જ્ઞાનલક્ષી, આરોગ્ય અને મનોરંજન લક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે જે જીવનના ઉત્સાહને વધારવામાં સહાયક બને છે.
વડિલો હવે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી મેમ્બરશીપનું ડિજીટલાઇઝીંગ કરી યુગ સાથે કદમ મિલાવી રહ્યા છે.
મોનાર્કના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટન્ટ મિસ મી સિમ લાઇ OBE એ એમના વક્તવ્યમાં અભિનંદન પાઠવ્યા ત્યારે પ્રશ્ન પૂછાયો કે, શું સંસ્થા ફરી આ એવોર્ડ માટે અરજી કરી શકે તો જવાબ હકારમાં મળતા સૌના ચહેરા પર ફરી એવોર્ડના અધિકારી બનવાના સપનાની ચમક વરતાતી હતી.
મેયર અંજનાબહેને તથા સૌ અતિથિ વિશેષોએ તેમના વક્તવ્યમાં NVK ને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઓડીટર શ્રી દીપકભાઇના પત્ની રીટાબહેનની બર્થડે હતી એથી એમને પણ શુભકામના પાઠવવામાં આવી હતી.
આ સાથે જ સંગીત પણ પીરસવામાં આવ્યું હતું. એન્જોય ડાન્સ એકેડેમીના કલાકારોએ બોલીવુડ નૃત્યોની રમઝટ બોલાવી છેલ્લે કેટલાક સભ્યોએ પણ એમાં જોડાઇ નૃત્યનો આનંદ માણ્યો હતો. આ ઉજવણીને સફળ બનાવવામાં કમિટીના સભ્યોએ અથાક્ પરિશ્રમ કર્યો હતો. કેન્દ્રના ૩૫૦ સભ્યો છે અને ૨૦૦ વેઇટીંગ લીસ્ટમાં છે. આવી સંસ્થાઓ વડિલોને ડીમેન્શીયા જેવી બિમારીથી બચાવે છે.