અમદાવાદઃ નરોડામાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ગુમ થયા છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મ મેકરની ઓળખ મહેશ કાલાવાડિયા તરીકે થઈ છે. તેઓ મહેશ જીરાવાલા તરીકે પણ ઓળખાય છે. તેઓ મ્યુઝિક આલબમ બનાવતા હતા. મહેશ કાલાવાડિયાનાં પત્ની હેતલે જણાવ્યું હતું કે, 12 જૂને તે લો-ગાર્ડન વિસ્તારમાં મીટિંગમાં ગયા હતા, ત્યારબાદ તેમણે મને બપોરે 1:14 વાગ્યે ફોન કરીને કહ્યું કે, મીટિંગ પૂરી થઈ ગઈ છે અને હું ઘરે આવી રહ્યો છું. જો કે તેઓ ઘરે પાછા ફર્યા નહોતા, ત્યારે મેં તેમને વારંવાર કોલ કર્યા હતા પણ તેમનો ફોન બંધ આવતો હતો. મેં આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં તેના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન દુર્ઘટના સ્થળથી માત્ર 700 મીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ગુરુવારે બપોરે 1:40 વાગ્યે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે તેમના ફોનનું નેટવર્ક જતું રહ્યું હતું. હાલ તેમની કાર અને ફોનનો પત્તો મળ્યો નથી. અમે ડીએનએ સેમ્પલ આપી લીધા છે, જેથી તેમને શોધી શકાય.'