સરેના સર્લી સ્થિત નલીનકાન્તભાઇ ઉમેદભાઇપટેલ તથા નીલાબેન પટેલ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. આણંદ નજીક નાપાડ ગામના મૂળવતની નલીનભાઇનો એકનો એક યુવાન દિકરો સની અને એની પત્ની મોનાલી વતન ગુજરાત ફરવા ગયાં હતાં. સનીના પિતા, માતા, બહેન અને ફોઇને આ દુર્ઘટનાના સમાચાર સાંપડતાં જ તેઓ લંડનથી અમદાવાદ પહોંચી ગયાં હતાં. અમદાવાદથી સનીના ફોઇ ઉર્વશીબહેને ફોન દ્વારા "ગુજરાત સમાચાર"ને આપેલી માહિતી મુજબ સનીએ લંડન પરત આવવા ત્રણવાર બુકિંગ કેન્સલ કરાવ્યું હતું અને છેલ્લે ૧૨ જૂન પસંદ કરી અમદાવાદ-લંડન ડાયરેક્ટ એરઇન્ડિયામાં આવવાનું નક્કી કર્યું. આ ફલાઇટ ક્રેશ થતાં કોઇ બચ્યું નથી એ સમાચાર મળતાં શનીની બહેન કોમલ મિનેશ પટેલ, હું અને મારી દિકરી એ જ દિવસે લંડનથી જે ફલાઇટ મળે એ લઇને અમદાવાદ આવી ગયાં હતાં. આ ઘટના બની ત્યારે મારા ભાઇ (સનીના પિતા) નલીનભાઇ અને નીલાબેન અલાસ્કા ક્રૂઝમાં હતાં ત્યાં એમને આ માઠા સમાચાર મળતાં તેઓ સિઆટલ, શિકાગો અને દિલ્હી થઇ અમદાવાદ આવી ગયા છે.
સનીની પત્ની મોનાલી જે વિદ્યાનગર ગાના ગામની દિકરી છે અને એના માતા પિતા મુકેશભાઇ અને જયશ્રીબેન પટેલ લેસ્ટરમાં રહે છે તેઓ અમદાવાદ અમારી સાથે છે. મોનાલીનો DNA મેચ થઇ ગયો છે પણ સનીનો DNA હજુ મેચ થયો નથી. ઉર્વશીબહેને જણાવ્યું કે, “એરઇન્ડિયાએ અમને ત્રણ દિવસ અમદાવાદ તાજ હોટેલમાં રહેવાની સગવડ કરી આપી હતી. અહીં સૌ પેપરવર્કસમાં બહુ મદદરૂપ થાય છે. ગઇકાલથી અમને ગાંધીનગરની લીલા હોટેલમાં સિફટ કર્યાં છે. અહીં સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકાર પણ ખૂબ મદદરૂપ થાય છે.