અમદાવાદઃ 12 માર્ચે એર ઇન્ડિયાના પ્લેનક્રેશની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમે ઇતિહાસકીય રાહતકાર્ય શરૂ કર્યું હતું. 3000થી વધુ કર્મચારી 8 કલાક લેખે 2 દિવસ સતત કાર્ય કર્યું, એટલે કે 48 હજાર માનવ કલાકના અથાક પરિશ્રમથી મોટાપાયે ઓપરેશન ચલાવ્યું. દુર્ઘટનાસ્થળે રાત-દિવસ કામ કરતા કર્મચારીઓએ માનવતા માટે અદભુત દૃષ્ટાંત રજૂ કર્યું.
ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે સતત 48 કલાક ઊભા રહી ઇજાગ્રસ્તોની સારવાર કરી. આ દરમિયાન 1200થી વધુ ફોન કોલ્સ સહાય માટે કંટ્રોલરૂમ પર આવ્યા અને લોકોએ પણ રક્તદાન અને સ્વયંસેવક તરીકે મદદની તૈયારી દર્શાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ડીએનએ મેચ કરવા 36 સમર્પિત ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા અપાયેલા વ્યક્તિગત બલિદાન ખરેખર નોંધપાત્ર છે.
1000 વોલેન્ટિયર ‘સેવા પરમો ધર્મ’ હેઠળ મદદે
શહેરમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બનતાં જ 50થી વધુ વિવિધ સંસ્થા, NGO અને ટ્રસ્ટના 1000 સ્વયંસેવક બચાવ અને સેવાકાર્યમાં જોડાયા હતા. આ વોલેન્ટિયર્સ દ્વારા રાહત કામગીરી સાથે મૃતકોના પરિવાર માટે પણ વ્યવસ્થા કરાઈ હતી. RSS સ્વયંસેવકો સહિત વીએચપી, બજરંગદળના કાર્યકરો પણ ઘટના બની ત્યારથી સેવાકાર્યમાં ખડેપગે રહ્યા હતા. રામ-શ્યામ ચેરિટેબલ મંડળે સિવિલમાં સગાંવહાલાં માટે ચા-નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી. અર્હમ્ યુવા સેવા ગ્રૂપ દ્વારા ફૂડ પેકેટ, ORS, પાણી અને છાશની સેવા અપાઈ હતી. જમિયત ઉલેમા એ અહમદાબાદ દ્વારા પાણી, ફૂડ પેકેટ અને એમ્બુલન્સની સેવા અપાઈ, તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરી મેડિકલ સેવા પૂરી પડાઈ હતી.