રાપરઃ ભુજમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને ફાળવીને રૂ. 18 કરોડનું નુકસાન પહોંચાડવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ નિરંકારનાથ શર્માની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ઈડી તરફથી સિનિયર એડવોકેટ સુધીર ગુપ્તાએ પ્રદીપ શર્માના 5 દિવસના રિમાન્ડની માગ કરતાં કોર્ટને જણાવ્યું હતું કે, ભુજની સરવે નંબર 870ની સરકારી જમીન ગેરકાયદે શર્માએ વર્ષ 2004માં સંજય શાહને ફાળવી દીધી છે. જેના લીધે સરકારને આશરે રૂ. 19 કરોડનું નુકસાન થયું છે. સંજય શાહે ખેતીલાયક જમીન બિનખેતીમાં રૂપાંતરિત કરતાં તેને પણ મંજૂરી આપી દેવાઈ હતી. આરોપી પ્રદીપ શર્માનું પીએમએલએ કલમ 50 હેઠળ નિવેદન નોંધવા અને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવા માટે હાજરી જરૂરી છે. તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ દ્વારા ગુનામાંથી મેળવેલી આવક શોધી કાઢવાની છે તેથી આરોપીના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઈએ.