વડનગરઃ આગામી 24 અને 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી સંભાવના છે. આ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરે તેવું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈને વડાપ્રધાન અહીં કંપનીના નવાં બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદઘાટન પણ કરી શકે છે. આ અંગે હજુ ગુજરાત સરકારને વડાપ્રધાન કાર્યાલયથી સત્તાવાર સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ અપાયો નથી, પરંતુ પ્રારંભિક તબક્કે આ કાર્યક્રમને લઈને કોઈ તૈયારી થઈ શકે છે. ગુજરાતના આ પ્રવાસ દરમિયાન 24 ઓગસ્ટે બપોર બાદ મોદી અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે. અહીં મહાત્મા મંદિરમાં પણ કોઈ જાહેર કાર્યક્રમ યોજાઈ શકે છે. તેઓ રાત્રીરોકાણ દરમિયાન ગુજરાત સરકાર તેમજ ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે.

