શ્રાવણ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ એટલે કે જન્માષ્ટમીએ રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’ના નાદથી ગૂંજી ઊઠ્યાં. ત્રણેય મંદિરમાં વ્હાલાનાં વધામણાં કરવામાં આવ્યાં અને મહાઆરતી કરવામાં આવી. કૃષ્ણજન્મનો ભક્તોનો આ ઉલ્લાસ શ્રીકૃષ્ણનાં વિવિધ મંદિરોમાં નજરે પડ્યો હતો. દ્વારકામાં 6 દિવસ સુધી કૃષ્ણજન્મની ઉજવણી કરાઈ, જેમાં લાખો ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા. કૃષ્ણજન્મ સમયે દ્વારકામાં વરસતા વરસાદમાં ભક્તો ઘેલા બન્યા હતા. આ સમયે દ્વારકામાં ગોકુળ જેવું વાતાવરણ સર્જાયું હતું.

