ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર 26 અને 27 મેએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કચ્છ, દાહોદ અને ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીનું 26 મેએ ગુજરાતમાં આગમન થશે. ગુજરાતમાં આગમન સાથે જ પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદના કાર્યક્રમ પતાવીને ગાંધીનગર પરત આવશે. જ્યાં રાત્રીરોકાણ કરીને 27 મેને મંગળવારે મહાત્મા મંદિરમાં વિકાસલક્ષી કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધશે. આ સાથે પ્રધાનમંત્રી દ્વારા મોટા રાજકીય ફેરફારની પણ ચર્ચા થઈ રહી છે.
હાઇસ્પીડ એન્જિનનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી મોદી દાહોદની મુલાકાત દરમિયાન નિર્માણ કરવામાં આવેલાં દેશનાં હાઇસ્પીડ એન્જિનો પૈકી એક 9 હજાર હોર્સપાવર (HP)ના એન્જિનનું લોકાર્પણ કરશે. આ એન્જિન જર્મનીની સિમેન્સ કંપની દ્વારા ઝડપી અને વધુ કાર્યક્ષમ પરિવહન માટે નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોકી ગામ ખાતે એક જાહેરસભાને પણ સંબોધશે.
કચ્છ બોર્ડરની મુલાકાત લઈ શકે
કચ્છમાં પ્રધાનમંત્રીના આગમન અવસરે માર્ગ પર વિશેષ રીતે 1000 મીટર લાંબા તિરંગાથી અભિવાદન કરવામાં આવશે, સાથેસાથે દેશભક્તિના ભીંતચિત્રો અને વિવિધ ગ્રૂપ દ્વારા દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો કરવા સહિતની તૈયારીઓ કરાઈ છે. પ્રધાનમંત્રી મોદી ભુજ ખાતે ઊર્જા વિભાગની યોજનાઓનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે.
માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીનાં દર્શન પણ કરી શકે છે.
મહાત્મા મંદિરમાં ખાસ કાર્યક્રમનું આયોજન
મુખ્યમંત્રી રહેતાં નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ઊજવ્યું હતું, જેને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આથી 27 મેએ મંગળવારે મહાત્મા મંદિરમાં રાજ્યનાં શહેરો માટે રૂ. 4,800 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ
અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થશે. તદ્ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનો પણ તેઓ આરંભ કરાવશે.