અમદાવાદઃ દેશના નાગરિકોની સુરક્ષા અને સરહદના રક્ષણ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાશે, ત્યારે ઓપરેશન સિંદૂરની ગાથા સુવર્ણ અક્ષરે લખાશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.
અમદાવાદના નારણપુરામાં ફ્લાયઓવરને ખુલ્લો મૂક્યા બાદ અમિત શાહે અમદાવાદ કોર્પોરેશનના રૂ. 1593 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને સંબોધતાં શાહે પહલગામમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, નિર્દોષોની હત્યા કરનારાને જડબાતોડ જવાબ આપતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, આતંકીઓને ભારતીય સેના મિટાવી દેશે અને સેનાએ ઓપરેશન સિંદૂર અમલમાં મૂકી સૌપ્રથમ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર તથા પાકિસ્તાનમાં ચાલતા 9 આતંકી અડ્ડાનો સર્જિકલ સ્ટ્રાઇક કરી ખાતમો બોલાવી દીધો હતો.