ભુજઃ કચ્છની કેસર કેરી આ વર્ષે લોકો સુધી ઓછી અને મોડી પહોંચશે, કેમ કે કચ્છમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેવાથી કેસર કેરીનો ફાલ બરાબર આવ્યો નથી. આ વર્ષે કચ્છમાં વાતાવરણ પલટાના કારણે કેસર કેરીનાં ફૂલ અને ફાલ ખરી પડતાં કેસર કેરીમાં 60-70 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. કચ્છમાં માવઠા પછી અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે કેરીનાં મોર (ફૂલ) સખત તાપના કારણે બળી ગયાં છે. ગત આખા સપ્તાહ દરમિયાન માવઠાની કળ કેરીના પાકને વળી નથી, ત્યાં હજુ માવઠું પડશે તો ઝાડ પરથી કેરીઓ ખરી પડશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં દર વર્ષે 70-80 હજાર મેટ્રિક ટન આસપાસ કેરીનું ઉત્પાદન થાય છે. કચ્છ જિલ્લામાં અંદાજે 10900 હેક્ટરમાં કેસર કેરીના વાવેતરનું અનુમાન છે. કચ્છ જિલ્લામાં માંડવી, ભુજ, નખત્રાણા અને અંજાર તાલુકામાં કેસર કેરીનું વધુ વાવેતર છે.