ગણતરીની મિનિટમાં સેનાએ પાકિસ્તાનને હંફાવ્યુંઃ રાજનાથસિંહ

Wednesday 21st May 2025 06:19 EDT
 
 

ભુજઃ ઓપરેશન સિંદૂરમાં પરાક્રમ બતાવનારા દેશના સૈનિકોના શૌર્યને બિરદાવવા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ શુક્રવારે ભુજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જવાનોને બિરદાવતાં સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, જેટલીવાર નાસ્તો કરતાં લાગે છે, એટલી વારમાં સેનાએ પાકિસ્તાનને હંફાવી દીધું છે.
રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો ઠીક છે, પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા અપાશે. સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. જ્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી, ત્યારે દુનિયાએ ભારતની વીરતાનો પડઘો સાંભળ્યો. વાયુસેનાએ સાબિત કર્યું કે ભારતની યુદ્ધનીતિ અને ટેક્નોલોજી બદલાઈ છે.
રાજનાથસિંહે કહ્યું, પાકિસ્તાને નષ્ટ થયેલા આતંકી માળખાને ફરી બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે આઇએમએફને પાક.ને 1 બિલિયન ડોલરની સહાય પર પુનર્વિચાર કરવા અને ભવિષ્યમાં કોઈ સહાય ન આપવા હાકલ કરી હતી.


comments powered by Disqus