દાહોદઃ રૂ. 71 કરોડના મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ) કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રની ધરપકડ કરાઈ. આ દરમિયાન મંત્રી બચુ ખાબડે મૌન સેવ્યું છે અને જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું પણ ટાળ્યું છે. દાહોદમાં પુત્રો કિરણ અને બળવંતે કરેલા મનરેગા કૌભાંડ પર મંત્રી બચુ ખાબડ ગાયબ થઈ ગયા હતા. આ તરફ રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે. લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ પુત્રના કૌભાંડ પર બોલવાનું ટાળ્યું છે.
કોંગ્રેસની પ્રતિક્રિયા
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ગરીબોના હક પર ભાજપ મંત્રીના પુત્રએ જ તરાપ મારી છે. આ અંગે મુખ્યમંત્રી બચુ ખાબડને જવાબદારીથી મુક્ત કરે તેવી કોંગ્રેસની માગ છે.
શું છે સમગ્ર કૌભાંડ?
મનરેગામાં વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલાં કામોમાં રૂ. 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદીજુદી 25 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં દેવગઢબારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.