નવી દિલ્હીઃ હરિયાણાની હિસાર પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરનારા 6 લોકોની ધરપકડ કરી છે. એમાં યુ-ટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા અને તેમના 5 સાથી સામેલ છે. જ્યોતિને હિસારના ન્યૂ અગ્રસેન એક્સ્ટેન્શનથી પકડવામાં આવી છે. જ્યોતિ ટ્રાવેલ વિથ જો નામથી પોતાની યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે.
જ્યોતિએ પોલીસને જણાવ્યું કે, એ વર્ષ 2023માં વિઝા માટે પાકિસ્તાન હાઇ કમિશનમાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત અહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશની સાથે થઈ હતી. જ્યોતિએ પોતાનો મોબાઈલ નંબર દાનિશને આપ્યો હતો. બંને વાતચીત કરવા લાગ્યા ત્યાર પછી બે વાર પાકિસ્તાનની યાત્રા કરી હતી.
પોલીસે કરેલી પૂછપરછમાં જ્યોતિએ કબૂલાત કરી કે, પાકિસ્તાનમાં અહસાન ઉર રહીમના કહેવા પર તે અલી અહવાનને મળી હતી. અલી અહવાન દ્વારા પાકિસ્તાનમાં તેના માટે ફરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અલી અહવાને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી અધિકારીઓ સાથે પણ મુલાકાત કરાવી હતી. એ રાણા શાહબાજ અને શાકિરને મળી હતી. પછી શાકિરનો મોબાઇલ નંબર લીધો અને પોતાના મોબાઇલ નંબરમાં જટ રંધાવાના નામથી સેવ કર્યો હતો, જેથી કોઈને શંકા જાય નહીં. ભારત પરત આવ્યા બાદ વ્હોટ્સએપ, સ્નેપચેટ, ટેલિગ્રામના માધ્યમથી જ્યોતિ પાકિસ્તાનના જાસૂસી અધિકારીઓના સંપર્કમાં રહેતી હતી અને દેશવિરોથી ગુપ્ત માહિતી તેમના સુધી પહોંચાડતી હતી.