મોરબીઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્વ સંબંધો વચ્ચે તુર્કી અને અઝરબૈજાન દેશે પાકિસ્તાનનો સાથ આપતાં દેશભરમાંથી બંને દેશોનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના ફરવાના શોખીન પ્રવાસીઓ પણ ધડાધડ બંને દેશના વિઝા અને ટિકિટો કેન્સલ કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મોરબીથી તુર્કી અને અઝરબૈજાનમાં વર્ષે રૂ. 100 કરોડની સિરામિક પ્રોડ્કટની નિકાસ થતી હોઈ મોરબી સિરામિક એસોસિયેશન પ્રમુખે જરૂર પડ્યે દેશહિતમાં બંને દેશમાં નિકાસ ન કરવા નિર્ણય જાહેર કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં ઘૂસી આતંકી કેમ્પોનો સફાયો કરી નાખતાં બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો દરમિયાન તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનના સમર્થનમાં ઉતરી આવતાં હાલમાં દેશભરમાં તુર્કી અને અઝરબૈજાનનો બોયકોટ કરાઈ રહ્યો છે. દરમિયાન મોરબીના ફરવાના શોખીન પ્રવાસીઓ હાલમાં તુર્કી અને અઝરબૈજાનની પોતાની ટૂર કેન્સલ કરાવી રહ્યા હોવાનું મોરબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશને જાહેર કર્યું છે.
દરમિયાન વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ઉદ્યોગે પણ તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનનું સમર્થન કરતાં વિરોધ વ્યક્ત કરી બંને દેશો સાથે હાલમાં થઈ રહેલો અંદાજે રૂ. 100 કરોડનો નિકાસ વેપાર બંધ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સિરામિક ઉદ્યોગમાં મંદીનાં વાદળો ઘેરાયાં હોવા છતાં સિરામિક એસોસિયેશને દેશહિતમાં આ નિર્ણય કર્યો છે.