સુરતઃ પાકિસ્તાનનો સાથ આપવાથી નારાજ સુરતના યાર્ન વેપારીઓએ તુર્કીનો બહિષ્કાર કર્યો છે. પોલિયેસ્ટર યાર્નના સૌથી મોટા નિકાસ કેન્દ્ર પૈકી એક સુરત તુર્કીને વાર્ષિક રૂ. 1200 કરોડનું યાર્ન નિકાસ કરે છે, જે હવે સંપૂર્ણપણે બંધ કર્યું છે. સુરતના 100થી વધુ પોલિયેસ્ટર યાર્નના વેપારીઓએ યાર્નની સપ્લાય બંધ કરવાનો સામૂહિક નિર્ણય લેતાં બોયકોટ તુર્કી અભિયાન શરૂ કર્યું છે. આ નિર્ણયથી બંને દેશોના ટેક્સટાઇલ સેક્ટર પર અસર પડવાની સંભાવના છે. સુરતથી તુર્કી ખાતે રોજ 50 થી 70 કન્ટેનર યાર્ન મોકલાય છે, જે હવે સંપૂર્ણપણે ઠપ્પ છે.
વેપારીઓના મતે તુર્કી સતત ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું રહ્યું છે અને એટલે જ ત્યાં કરોડો રૂપિયાનું યાર્ન મોકલવું અયોગ્ય છે. સુરતથી તુર્કીને યાર્ન સપ્લાય બંધ કરવાનો નિર્ણય માત્ર વ્યાપારિક નિર્ણય નથી, પરંતુ દેશહિતમાં લેવાયેલું પગલું છે. વેપારી ગિરધર ગોપાલ મુંદડાએ કહ્યું કે, બુધવારથી જ તુર્કીને સપ્લાય રોકી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સર્વાનુમતે નિર્ણય લીધો છે કે હવે કોઈપણ વેપારી તુર્કીને યાર્ન સપ્લાય કરશે નહીં. રૂ. 1200 કરોડના આ વેપારને રોકવા પાછળ વેપારીઓની એકતા દર્શાવે છે કે ભારતીય વેપારીઓ પણ દેશના સાર્વભૌમત્વ અને ગરિમાના મુદ્દાઓ સાથે કોઈ સમાધાન કરશે નહીં. હાલમાં તે સુરતના યાર્ન વેપારમાં એક ઐતિહાસિક વળાંક છે.
અત્યાર સુધી સુરતથી રોજ 50થી 70 કન્ટેનર પોલિયેસ્ટર યાર્ન તુર્કી ખાતે મોકલાતું હતું. આ યાર્નનો ત્યાં ફેબ્રિક નિર્માણ માટે ઉપયોગ કરાતો હતો.