ભુજઃ આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે. જો કે હાલ આસમાને આંબતાં સોનાના ભાવે મધ્યમ વર્ગથી આ ખરીદી સ્વપ્નસમાન બનાવી દીધી છે. તેવામાં વધતા જતા સોનાના ભાવને કારણે કચ્છના પ્રાથરિયા આહિર સમાજે જ્ઞાતિના લોકોને આર્થિક ભારણ ન વધે તે માટે ઠરાવ કર્યો. નવનિયુક્ત પ્રમુખ અને આગેવાનોએ સગાઈથી માંડી લગ્ન પ્રસંગો સુધી સોનાના દાગીનાની થતી લેતીદેતી પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે. હવે સમાજના લોકો પ્રસંગો તો ઠીક પણ સામાન્ય દિવસોમાં પણ પાંદડાં અને ઝરમર જેવા દાગીના પહેરશે તો રૂ. 5.51 લાખના દંડનો ઠરાવ કર્યો છે.
દંડની જોગવાઈ
આહિર સમાજના કોઈપણ લગ્ન સમારંભમાં રોટલી. દાળ-ભાત, છાસ, પાણી, સલાડ-પાપડ સિવાય કોઈપણ છ વાનગી જ રાખવાનો નિર્ણય લેવાયો છે. આનાથી વધુ વાનગી રાખવા પર રૂ. 2.51 લાખ અને વરરાજા શેરવાની પહેરે તો રૂ. 1 લાખનો દંડ નક્કી કરાયો છે.
પીઠી, મહેંદી, પ્રિ-વેડિંગ પર પ્રતિબંધ
કેટલાક સમયથી આહિર સમાજમાં પીઠી, મહેંદીના રિવાજે પગપેસારો કર્યો હતો. આ ઉપરાંત લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાય છે. સમાજની પરંપરા પર તેની અસર દેખાય તે પહેલાં જ તેના પર પ્રતિબંધ મૂકી દંડની જોગવાઈ કરાઈ છે.