ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારના પ્રધાન વિજય શાહની મુશ્કેલીઓ વધી રહી છે. કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ તેમણે આપેલા નિવેદનની હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે જાતે જ નોંધ લઈ વિજય શાહ સામે એફઆઇઆર દાખલ કરવા સૂચના આપી હતી. આ સાથે કોર્ટે ડીજીપીને જણાવ્યું હતું કે, આદેશનો અમલ ન થાય તો તેને કોર્ટના આદેશની અવગણના ગણાશે. હાઇકોર્ટના આદેશ બાદ મોડી રાત્રે મંત્રી વિજય શાહ સામે એફઆઇઆર દાખલ કરાઈ હતી.
વિજય શાહે માનપુરમાં આયોજિત એક સમારંભમાં કહ્યું હતું કે, ‘જે આતંકીઓએ લોકોની હત્યા કરી તેમનાં વસ્ત્રો ઉતરાવ્યાં, જેમણે આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા તેમની જ બહેનને મોકલીને પ્રધાનમંત્રી મોદીએ તેમને ખતમ કરી નાખ્યા.' આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા વિજય શાહની માફી માગતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, વિજય શાહ જે બોલ્યા છે તે અંગેનું પરિણામ તેમણે ભોગવવું જ પડશે.