ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા તોસિફ પટેલને પોલીસે ઝડપી લીધો છે. પહલગામ આતંકી ઘટના અને ઓપરેશન સિંદૂરને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન છે, તેવા સંજોગોમાં આવી ધમકી મળતાં પોલીસ દોડતી થઈ હતી.
ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં એક શખ્સે બે-બે વખત ફોન કરીને ધમકી આપી હતી કે રાત્રે એકથી બે વાગ્યાના અરસામાં 4 વ્યક્તિ ઝાડેશ્વર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે. આ કોલને ગંભીરતાથી લઈને ડિઝાસ્ટર કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમે ભરૂચ સી-ડિવિઝનને જાણ કરતાં પોલીસ દોડતી થઈ હતી.
કોલ ડિટેઇલ અને મોબાઈલ સર્વેલન્સ દ્વારા માહિતી મળી હતી કે કોલ કરનારી વ્યક્તિ ભરૂચ રેલવે સ્ટેશન પાસે છે. પોલીસ ત્યાં પહોંચી હતી અને ટાવર લોકેશનના આધારે જંબુસર બાયપાસ પર આવેલા સફારી પાર્કમાં રહેતા તોસિફ આદમ પટેલને ઝડપી લીધો હતો.