નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુંબઈમાં નેવી ડોકયાર્ડમાં બે વોરશિપ આઇએનએસ સુરત, આઇએનએસ નીલગિરિ અને એક સબમરિન આઇએનએસ વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યાં. યુદ્ધ જહાજને સુરતનું નામ આપવા પાછળ કારણ સુરત શહેરનો ઐતિહાસિક દરિયાઈ વેપાર છે. સદીઓ પહેલાં સુરત દેશના દરિયાઈ વેપાર માટે એટલું પ્રસિદ્ધ હતું કે, અહીંના દરિયામાં 84 બંદરના વાવટા ફરકતા હતા. સુરત દરિયાઈ વેપાર સાથે જહાજ બનાવટનો ઇતિહાસ પણ ધરાવે છે.
16મી અને 18મી સદીમાં સુરત શહેરના દરિયાકિનારા પર તૈયાર થનારાં જાહાજો 100 વર્ષથી વધારે લાંબા આયુષ્ય માટે જાણીતાં હતાં. તે સમયે બ્લોક નિર્માણ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. આ જ પદ્ધતિથી આઇએનએસ સુરત તૈયાર થયું છે. આમ સુરતના અભૂતપૂર્વ ફાળાને બીરદાવવા ભારતીય નૌકાદળના યુદ્ધજહાજને આઇએનએસ-સુરત નામ અપાયું છે.

