વડોદરાઃ હરણી બોટકાંડની કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. જો કે ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકોના વાલીઓ હજી ન્યાય ઝંખી રહ્યા છે. શનિવારે વાલીઓ ન્યૂ સનરાઇઝ સ્કૂલ, પાલિકાની કચેરી અને હરણી લેક પહોંચ્યા હતા, જ્યાં વાલીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. મૃતક બાળકોનાં ભાઈ-બહેનોએ હાથમાં ‘મને મારી બહેન પાછી આપો’નાં પોસ્ટર લઈ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વાલીઓએ વેદના ઠાલવતાં કહ્યું કે, સંબંધિત તમામ અધિકારીઓ સામે ખુદ મ્યુનિ. કમિશનર પોલીસ ફરિયાદ નોંધાવે. બસ હવે ન્યાય સિવાય કંઈ ન જોઈએ. હવે ન્યાય માટે કોના દરવાજા ખખડાવીએ તે કહો.

