સુરતઃ ચોકબજારમાં રહેતા દેવગણિયા (પ્રજાપતિ) પરિવારના 40 વર્ષીય મોભીએ પત્ની તેમજ 12 વર્ષના પુત્ર સાથે ગળતેશ્વર તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. સુરતના ચોકબજારમાં આવેલી હરેકૃષ્ણા સોસાયટીમાં રહેતા 40 વર્ષીય વિપુલ રવજીભાઈ દેવગણિયા 38 વર્ષીય પત્ની સરિતાબહેન તેમજ 12 વર્ષીય પુત્ર વ્રજ સાથે વસવાટ કરી છૂટક મજૂરી કરતા હતા. શુક્રવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ વિપુલભાઈ, પત્ની સરિતાબહેન તેમજ પુત્ર વ્રજ સાથે ગાર્ડનમાં જવાનું તેમજ બહાર જમીને આવીશું કહી ઘરેથી પોતાના બાઇક લઈને નીકળ્યા હતા. જો કે પરત ન ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળ્યા હોવાની જાણ થઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, વિપુલભાઈએ નદીમાં પત્ની, પુત્ર સાથે ઝંપલાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક વિપુલભાઈએ શેરબજારમાં રોકાણ કર્યું હતું અને તેમાં તેમને નુકસાન થતાં તેમણે રૂ. 8થી 10 લાખની પર્સનલ લોન લીધી હતી. જેથી તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા, તેમજ મૃતક સરિતાબહેન પણ માનસિક બીમાર હતાં. આર્થિક તંગીના કારણે પરિવારે આત્મહત્યા કરી લીધી હતી.

