નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. વાડ્રા અને તેમની 11 કંપની સામે હરિયાણાના શિકોહપુર ખાતે જમીન સોદામાં અનિયમિતતા આચરવાનો આરોપ લાગ્યો છે. કેસની તપાસ દરમિયાન ED દ્વારા વાડ્રા અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓની રૂ.37.64 કરોડ મૂલ્યની 43 અચલ સંપત્તિ પણ ટાંચમાં લેવાઈ છે.
56 વર્ષીય ઉદ્યોગપતિ અને અગ્રણી રાજકીય પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા સામે પ્રથમ વખત કોઈપણ તપાસ એજન્સી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. EDના સૂત્રો મુજબ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની જોગવાઈ હેઠળ વાડ્રા અને તેમની સાથે સંકળાયેલી સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રા. લિ. સહિતની અન્ય કંપનીની સંપત્તિ ટાંચમાં લેવાનો હુકમ થયો હતો. નવી દિલ્હી ખાતે આવેલી રાઉસ એવન્યુ કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરાઈ છે. વાડ્રાએ પોતાના પર લાગેલા આરોપોને રાજકીય કિન્નાખોરી પ્રેરિત ગણાવ્યા છે.
વાડ્રા નેતા રાહુલ ગાંધી સહિતના પરિવારને પરેશાન કરવાનો દાવો કરી રહ્યા છે. જો કે તપાસ દરમિયાન વાડ્રા સામે મળેલા નક્કર પુરાવાના આધારે તેમની સાથે સંકળાયેલી સંપત્તિને જપ્ત કરવા રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2018માં ગુરુગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જેમાં ગુરુગ્રામના સેકટર 83 શિકોહપુર ગામ ખાતે 3.35 એકર જમીન ખરીદવામાં ગેરરીતિ થઈ હોવાનુ જણાવાયું છે. વાડ્રાએ પોતાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રા. લિ. માટે 2008માં ઓનાકારેશ્વસ પ્રોપર્ટીઝ પાસેથી રૂ. 7.5 કરોડમાં જમીન ખરીદી હતી. આ પ્રક્રિયામાં ખોટું ડિકલેરેશન કરાયું હતું. 4 વર્ષ બાદ વાડ્રાની કંપનીએ આ જમીન રીઅલ એસ્ટેટ કંપની ડીએલએફને રૂ. 58 કરોડમાં વેચી હતી.

