ગાંધીનગરઃ ગાંધીનગરમાં પાકતા એરંડામાં તેલનું પ્રમાણ 48 ટકા છે. ગાંધીનગરમાં કપાસ બાદ સૌથી વધુ વાવેતર એરંડાનું થાય છે. એરંડાના તેલ (દિવેલ)નો ઉપયોગ હાઇસ્પીડ એન્જિન, વિમાનના લ્યૂબ્રિકન્ટ સહિત વિવિધ જગ્યાએ થાય છે. તેમાં પણ ગાંધીનગર પાસેનું કડી એરંડા ઉત્પાદકતામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ છે.
ગાંધીનગરમાં એરંડાની ઉત્પાદકતા પણ ઊંચી છે. મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને વીઘે 30થી 35 મણનો ઉતારો મળે છે. જિલ્લામાં ખેડૂતો એરંડા માટે બીજનિગમનું સાત નંબરનું બિયારણ પસંદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે ગાંધીનગરમાં જે જાતના એરંડાનું વાવેતર થાય છે, તેમાં તેલનું પ્રમાણ 48 ટકા છે. આ 48 ટકામાંથી અંદાજિત 42 ટકા તેલ કાઢી લેવાય છે, જ્યારે બાકીનો 6 ટકા ભાગ ખોળમાં રહી જાય છે. એરંડિયામાં રિસિનોલેઇન નામના ટ્રાઇગ્લિસરાઇડ્સ ભરપુર હોય છે, જેનો ઉપયોગ કાચા માલ તરીકે કલર, લ્યૂબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબ્બર, ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે.
ઉપરાંત એરંડાના તેલનો ઉપયોગ બાયોડીઝલ, પશુ ચિકિત્સા અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે. એરંડાથી તેલ કાઢ્યા બાદ બચેલા એરંડાના ખોળનો ઉપયોગ કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે થાય છે.