આણંદઃ ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રહેતું વૃદ્ધ દંપતી શશિકાંત પટેલ અને તેમનાં પત્ની કોકિલાબહેન લંડન ખાતે રહેતા પુત્રોને મળવા જઈ રહ્યાં હતાં, પરંતુ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બંનેનાં મોત થયાં હતાં. 76 વર્ષીય શશિકાંત રાવજીભાઈ પટેલ 72 વર્ષીય પત્ની કોકિલાબહેન સાથે 10 વર્ષથી ભરોડા ગામે નિવૃત્તમય જીવન વીતાવતા હતા. તેમના બંને પુત્રો તુષાર અને વિકાસ 20 વર્ષથી લંડન સ્થાયી થયા છે. તેઓ કોલકાતા ખાતે સર્જિકલ અને તમાકુના વેપાર સાથે સંકળાયેલા હતા.
આ દંપતી અવારનવાર પુત્રોને મળવા લંડન જતું હતું, જેના ભાગરૂપે ફરી તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા લંડન જતાં હતાં. જો કે આ ફ્લાઇટ ક્રેશ થતાં તેઓ મૃત્યુ પામ્યા. શશિકાંતભાઈના ત્રણ સગા ભાઈઓ પરિવાર સાથે ભરોડા ખાતે રહે છે. પતિ-પત્નીના મૃતદેહ ડીએનએ બાદ વતન ભરોડા પહોંચતાં તેમના પરિવાર અને ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.