અમદાવાદઃ મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275નાં મોત થયાં હોવાની પુષ્ટિ એર ઇન્ડિયાના સીઈઓએ કરી છે, જેમાં 241 પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા અને 34 સ્થળ પર હાજર લોકો હતા.
બીજી તરફ સિવિલ હોસ્પિટલે જણાવ્યું છે કે, અત્યાર સુધી 253 મૃતદેહની ઓળખ ડીએનએથી થઈ છે, જ્યારે 6 ચહેરાથી ઓળખાયા છે. કુલ 256 મૃતદેહ પરિવારને સોંપાયા છે. 217 મૃતદેહ બાયરોડ અને 28ને હવાઈમાર્ગે લઈ જઈ પરિવારોને સોંપાયા છે. આ તમામ ખર્ચ એરઇન્ડિયા દ્વારા કરાયો છે. મૃત્યુ પામનારા લોકોમાં 124 મહિલા, 120 પુરુષ તથા 16 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતના કુલ 200 નાગરિક છે. પેસેન્જર સિવાયના મૃતદેહો પણ પરિવારને સોંપાયા છે, જેમાંથી 13ની ઓળખ ડીએનએ સેમ્પલથી, જ્યારે બાકીના 6ની ઓળખ ચહેરાથી કરાઈ છે.
લંડનના 10 પેસેન્જરની સાથે મહારાષ્ટ્રના 13 અને બિહારના 1, આસામ, મણિપુર અને કેરળના એક મૃતદેહને હવાઈમાર્ગે મોકલાયા. તો રાજસ્થાનના 4 અને દીવના 14 મૃતદેહ બાય રોડ મોકલાયા હતા.
પીડિત પરિવારોને સહાય આપવાનું શરૂ
પ્લેનક્રેશના 275 જેટલા મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારને મંગળવારે 24 જૂનથી એર ઇન્ડિયા દ્વારા રૂ. 25 લાખ અને ટાટા ગ્રૂપ દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવાની શરૂ કરવામાં આવી. પ્લેનક્રેશ પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી શકે એ માટે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલમાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરાયું છે.