ભારતનો પાકિસ્તાનને સંદેશઃ સિંધુ જળસંધિ ફરી લાગુ નહીં થાય, પાણી રાજસ્થાનને આપીશું

Wednesday 25th June 2025 07:53 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત ક્યારેય પણ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને ફરી લાગુ નહીં કરે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને અયોગ્ય રીતે મળતા પાણીનો હવે ભારતમાં જ ઉપયોગ કરવામાં આવશે અને ખાસ કરીને તેને રાજસ્થાન જેવા રાજ્યો સુધી પહોંચાડવા માટે એક નહેરનું નિર્માણ કરાવાશે. ઉલ્લેખનીય છે કે ભારતે 1960માં વર્લ્ડ બેન્કની મધ્યસ્થતામાં પાકિસ્તાન સાથે આ સંધિ કરી હતી જેના હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ રિવર સિસ્ટમના પાણીની વહેંચણી થઈ હતી. આ સંધિ પાકિસ્તાનની ખેતી લાયક 80 ટકા જમીન માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરતીહતી. પહલગામ આતંકવાદી હુમલામાં 26 નાગરિકોની હત્યા બાદ ભારતે સંધિને સ્થગિત કરી દીધી છે. અમિત શાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સંધિ હવે ફરીવાર લાગુ નહીં કરાશે. આંતરરાષ્ટ્રીય સંધિઓને એક તરફી રીતે રદ ન કરી શકાય પરંતુ અમને આ સંધિને સ્થગિત કરવાનો અધિકાર હતો અને અમે તેમ કર્યુ હતું. સંધિની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરાયો હતો કે તે બંને દેશની શાંતિ અને પ્રગતિ માટે હતી પરંતુ એક વાર તેનો ભંગ થઈ જાય તે બાદ કંઈ બચતું નથી. જે પાણી હજુ સુધી પાકિસ્તાનને મળતું હતું તેને અમે ભારતની અંદર વાળી રાજસ્થાનમં લાવીશું.
ઝેલમનું મહત્તમ પાણી લેવાની યોજના
શાહના નિવેદને સ્પષ્ટ કર્યુ છે કે હવે સિંધુ રિવર સિસ્ટમ પર ભારત પોતાના અધિકારોનો મહત્તમ ઉપયોગ કરવા માગે છે. ભારત ઝેલમ જેવી અગ્રણી નદીઓમાંથી મહત્તમ પાણી ખેંચવાની યોજના ઘડી રહ્યું છે, જે પાકિસ્તાનની ખેતી માટે ખૂબ જ જરૂરી છે.


comments powered by Disqus