મોડાસાઃ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારી અરવલ્લીની ત્રણ મહિલા પૈકી મોડાસાનાં નુસરતબાનુનો મૃતદેહ સોમવારે પરિવારને સોંપવામાં આવ્યો હતો. ડીએનએ મેચ થતાં જ સોમવારે સાંજે મૃતદેહ સોંપાતાં સિવિલ હોસ્પિટલથી મૃતદેહ લઈને પરિવારજનો મોડાસા આવ્યા હતા. પોલીસ એસ્કોટિંગ સાથે એમ્બુલન્સમાં મહિલાનો મૃતદેહ મોડાસા પહોંચ્યો હતો. મૃતદેહ આવતાં જ પરિવારજનોએ હૈયાફાટ રુદન કરી મૂક્યું હતું. આ તકે અરવલ્લી જિલ્લાનું વહીવટીતંત્ર ખડેપગે રહ્યું હતું. અરવલ્લી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ અંતિમવિધિ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પરિવાર દ્વારા સમાજના રીતરિવાજ મુજબ સાંજે કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી.