અમદાવાદઃ ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા આતંકીઓનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ઊઠ્યો હતો. વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, આતંકીઓ પાસેથી રાઇઝિન કેમિકલ મળ્યું હતું, જેને હવા તેમજ પાણીમાં ભેળવી શકાય છે. શહેરમાં જનતાને પાણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ કેમિકલ પાણીમાં ભેળવાય તો અનેક લોકો મૃત્યુ પામી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 238 વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર આવેલાં છે, જ્યાંથી નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યાં કોઈપણ પ્રકારની સિક્યોરિટી નથી. આ કેમિકલ જો કોઈ આતંકીઓ દ્વારા કોઈપણ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરનાં પાણીમાં નાખી દેવાયું હોત તો મોટી જાનહાનિ સર્જાત.

