અમદાવાદઃ વિસાવદરની છેલ્લા દોઢેક વર્ષથી ખાલી પડેલી અને કડી (એસસી અનામત)ના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરી-2025માં અવસાન થતાં બંને ખાલી પડેલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ છે. આ બંને બેઠક પર 19 જૂને મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી થશે.
વિસાવદરમાં ભાજપની ટિકિટ મેળવવા આપથી ભાજપમાં આવનારા ભૂપેન્દ્ર ભાયાણી અને કોંગ્રેસથી ભાજપમાં આવનારા હર્ષદ રીબડિયા વચ્ચે સ્પર્ધા છે. જો કે આ બંનેની લડાઈમા કોઈ મૂળ ભાજપી ફાવી જાય તો નવાઈ નહીં. બીજી તરફ કોંગ્રેસે બંને બેઠકો માટે તેના 4-4 પ્રભારીની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો અગાઉથી વિસાવદર માટે ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે.
આપથી વિસાવદરની બેઠક જીતનારા ભૂપત ભાયાણી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા હતા. આ સમયે જ પેટાચૂંટણીના સંકેત મળી ચૂક્યા હતા. આ સ્થિતિમાં ભાજપમાં જોડાનારા હર્ષદ રીબડિયાએ હાઇકોર્ટમાં રિટ કરતાં ચૂંટણી શક્ય નહોતી. છેવટે રીબડિયાએ રિટ પરત ખેંચતાં પેટાચૂંટણીનો રસ્તો ખૂલ્યો હતો. આ દરમિયાનમાં કડીના ભાજપ ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, જેના પર ચૂંટણીપંચે પેટાચૂંટણી જાહેર કરી છે.