ખેડાઃ ડાકોરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનું નવનિર્માણ પૂર્ણ થયું છે. આણંદ-ગોધરા લાઇન પર આવેલા ડાકોર રેલવે સ્ટેશનને રૂ. 5.88 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, જેનું 22 મેએ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કર્યું. નવા રેલવે સ્ટેશનમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગથી લઈ વિશેષ સુવિધાઓ સાથે ધાત્રી મહિલા મુસાફરો માટે અલગ બેઠકરૂમ અને ઘોડિયાની વિશેષ પ્રકારની સુવિધા પણ ઉપલ્બધ છે.
સ્ટેશનની પ્રિમાઈસીસમાં કૃષ્ણભક્તિ દર્શાવતા ભક્ત બોડાણાને અને ઠેકઠેકાણે કૃષ્ણ-રાધાના ભીંતચિત્રો તેમજ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક લખાયા છે. જે જોઈ કૃષ્ણભક્ત ભક્તિમાં લીન બની જવાય છે. વર્ષ 2025ના મે માસમાં ડાકોર રેલવે સ્ટેશનના અપગ્રેડની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. અહીં 1400 સ્ક્વેર મીટર એરિયામાં વિશાળ પાર્કિંગ છે. જેમાં એકસાથે કાર, બસ, ટુ-વ્હીલર મળી 126 વાહનો આરામથી પાર્ક થઈ શકે છે.
કરમસદમાં પટેલના વારસાને જીવંત કરાયો
આધુનિક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલના વતન કરમસદની ભૂમિ પર ખંભાત રેલવે લાઇન પરના સ્ટેશનને રેલવેતંત્ર દ્વારા આધુનિક ઓપ અપાયો છે. રૂ. 7 કરોડના ખર્ચે નવનિર્મિત આ રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, જેમાં પ્લેટફોર્મની સામે એક 100 મીટર લાંબી આર્ટ વોલ બનાવાઈ છે. જેમા સરદારના જીવન અને તેમની ઉપલબ્ધિઓને સ્લોગન અને ચિત્રો દ્વારા પ્રદર્શિત કરી વણી લેવાઈ છે. સૌંદર્યલક્ષી ડિઝાઇન કરાયેલા લેન્ડસ્કેપમાં સરદારના જન્મથી લઈ મૃત્યુ સુધીની વિગતોનો સમાવેશ થાય છે.