વડોદરાઃ ભારતના દિગ્ગજ વૈજ્ઞાનિક અને વિશ્વપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ડો.જયંત નાર્લીકરનું 20 મેએ 86 વર્ષની વયે નિધન થયું. ડો. નાર્લીકરનો એમ.એસ. યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. તેમણે આ ઇન્સ્ટિટ્યૂટને 12 જેટલી હસ્તપ્રત ભેટ આપી હતી અને ઇન્સ્ટિટ્યૂટમાં તે આજે પણ સચવાયેલી છે.
ઇન્સ્ટિટ્યૂટના હાલના ડાયરેક્ટર ડો. શ્વેતા પ્રજાપતિએ કહ્યું હતું કે, ડો. નાર્લીકરને હસ્તપ્રતો સાથે પણ ઘણો લગાવ હતો. ઇન્સ્ટિટ્યૂટના તત્કાલીન ડાયરેક્ટર ડો. એમ એલ વાડેકર ડો. જયંત નાર્લીકરના પરિચયમાં હતા અને તે વખતે હસ્તપ્રતો અંગે તેમની સાથે વાતચીત થઈ હતી. ડો.નાર્લીકરને તેમણે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટને હસ્તપ્રતો ભેટમાં આપવા વિનંતી કરી હતી અને ડો. નાર્લીકરે હા પણ પાડી હતી. ડો. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે 2002માં ઇન્સ્ટિટ્યૂટ વતી ડો. સિદ્ધાર્થ વાકણકર ડો. નાર્લીકરના ઘરે આ હસ્તપ્રતો લેવા ગયા હતા. વેદાંત, નાટક, પુરાણ, ધર્મશાસ્ત્ર વિષય પરની હસ્તપ્રતો ઇન્સ્ટિટ્યૂટમાં સચવાયેલી છે અને તેના કારણે ડો.નાર્લીકરની યાદો પણ ઇન્સ્ટિટ્યૂટમાં જીવંત રહેશે.