ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી વાઘની એન્ટ્રી

Wednesday 28th May 2025 06:11 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત માટે ખુશીના મોટા સમાચાર છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના જંગલમાં છેલ્લા ચાર મહિનાથી તે રહેતો હોવાનું ધ્યાને આવ્યું છે. પાંચ-છ મહિનાની વય ધરાવતો આ નર-વાઘ સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે અને આસપાસના જંગલમાં ફરે છે.
વનવિભાગના કર્મીઓને ચારેક મહિના અગાઉ વાઘના ફૂટમાર્ક જંગલમાં જણાયા હતા અને એ પછી ટ્રેપ કેમેરા ગોઠવીને વાઘ હોવાનું કન્ફર્મ કરતાં એની પર 24 કલાક ચાંપતી નજર રખાઈ રહી છે. એને ખોરાક-પાણી સરળતાથી મળી રહે તેની કાળજી લેવાઈ રહી છે. જો કે આ સંદર્ભે ચુપકીદી રખાઈ રહી છે.
મધ્ય પ્રદેશના ઈન્દોર-ઝાબુઆ વચ્ચેના જંગલમાંથી આ વાઘ અહીં આવ્યો હોવાનું અનુમાન છે. મધ્ય પ્રદેશમાં પેન્ચ નેશનલ પાર્ક અને વાઘ અભયારણ્ય શિવની અને છિંદવાડા જિલ્લામાં પથરાયેલા છે, જે દાહોદથી લગભગ 650 કિલોમીટર દૂર આવેલા છે. બારિયામાં દેખાયેલો વાઘ આટલું લાંબુ અંતર કાપીને આવ્યો હોવાની ચર્ચા છે.
દાયકાઓ પહેલા વલસાડથી લઈ અંબાજી સુધીના ટ્રાઇબલ પટ્ટાના જંગલોમાં વાઘ વિચરતા હોવાનો ઇતિહાસ છે. એટલું જ નહીં અમદાવાદ શહેરની હદમાં પ્રવેશ અને ઉત્તર ગુજરાતના બાલારામ વન વિસ્તારમાં કેટલીય વાર વાઘ દેખાયાનો વનવિભાગના દસ્તાવેજોમાં ઉલ્લેખ છે.


comments powered by Disqus