ગાંધીનગરઃ ગુજરાત અને દેશનું ગૌરવ મનાતા એશિયન સિંહોની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. 2020 અગાઉની ગણતરીથી આ આંકડો 32 ટકા વધુ છે. આ 5 વર્ષમાં 217 સિંહ વધ્યા છે. સિંહોનો વિસ્તાર હવે ગુજરાતના 11 જિલ્લાના 35 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાઈ ચૂક્યો છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં નર સિંહની તુલનાએ માદા સિંહની સંખ્યા વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સિંહોનું સંવર્ધન, તેમની સુરક્ષા ગુજરાતમાં વધુ સારી રીતે થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ લાયનને તેનો શ્રેય જાય છે.
સિંહો અંગે જાણવા જેવી વાતો
• નર કરતાં માદાની સંખ્યા વધીઃ રાજ્યના 7 જિલ્લામાં 196 પુખ્ત નર સિંહ છે, જ્યારે માદાની સંખ્યા 330 છે. જ્યારે સગીર સિંહમાં 59 નર અને 75 માદા છે. જ્યારે બચ્ચામાં 12 નર, 24 માદા છે.
• ગીર નેશનલ પાર્કથી બહાર વધુ સિંહઃ ગીર નેશનલ પાર્કમાં 384 સિંહ જોવા મળ્યા, જ્યારે તેનાથી બહારના વિસ્તારમાં 507 સિંહ છે. ગીર બહાર પાણિયા, મટિયાળા, ગિરનાર આસપાસ, બરડા, નદી-તળાવના કિનારે, માનવવસતી, ખેતરોમાં પણ સિંહો મળ્યા.
• 7 જિલ્લામાં સિંહની વસ્તીઃ ગીર અને અમરેલી સિંહના ગઢ મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે નવી ગણતરીમાં ગુજરાતના 7 જિલ્લામાં સિંહની ઉપસ્થિતિ જોવા મળી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે.
• ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં વસ્તી ઘટીઃ તમામ વિસ્તારમાં સિંહની વસતી વધી છે પણ ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં વસ્તી 4 ટકા ઘટી છે. અહીં 2020માં 56 સિંહ હતા, જેમાંથી હવે 54 જ બચ્યા છે.
• સિંહો ખેતરોમાં અને દરિયાકાંઠે પહોંચ્યાઃ રાજ્યભરમાં 100 જેટલા સિંહ ખેતરમાં વસતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં સિંહો હવે દરિયાકાંઠા પર પણ દેખાવા લાગ્યા છે.
• 5 વર્ષમાં 3 નવા વિસ્તાર સર કર્યાઃ 5 વર્ષમાં સાવજોએ ત્રણ નવા વિસ્તાર સર કર્યા છે. 2020માં જ્યાં એકેય સાવજ નહોતા, તે બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં હાલ 17 સાવજ છે. ઉપરાંત જેતપુર પંથકમાં 6 અને બાબરા-જસદણ પંથકમાં 4 સાવજ વસે છે, જે પાંચ વર્ષ પહેલાં નહોતા.