જગદલપુરઃ નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં બુધવારે સવારે સુરક્ષાદળોએ 27 નક્સલીને ઠાર માર્યા, જેમની પાસેથી હથિયારો કબજે લેવાયાં છે. માર્યા ગયેલા નક્સલીઓમાં તેમના લીડર અને રૂ. 1.50 કરોડના ઇનામી બસવા રાજુનો પણ સમાવેશ થતો હતો. ગોળીબારમાં એક ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ શહીદ થયા છે. આ એન્કાઉન્ટર દંતેવાડા, નારાયણપુર અને બિજાપુર જિલ્લાની સરહદ પર થયું હતું.
પોલીસને નક્સલી પોલિટબ્યૂરોનો સભ્ય અને નક્સલવાદી સંગઠનનો મહાસચિવ રાજુ અબુઝમાડના જંગલમાં હોવાની બાતમી મળી હતી, જે આધારે સુરક્ષાબળના જવાનો ત્યાં પહોંચ્યા હતા, અહીં નક્સલીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષાબળે જવાબી ફાયરિંગ કરતાં 27 નક્સલી ઠાર મરાયા હતા.
7 દિવસ પહેલાં 31 નક્સલી માર્યા ગયા હતા
પોલીસે 7 દિવસ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં કર્રેગુટ્ટા ઓપરેશન વિશે માહિતી આપી હતી. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર આવેલા કર્રેગુટ્ટા પહાડીઓમાં 24 દિવસ ચાલેલા ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 નક્સલીને ઠાર માર્યા હતા, જેમાં 16 મહિલા અને 15 પુરુષ નક્સલીનો સમાવેશ થાય છે.