નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડો જોવા મળી રહી છે. ફેબ્રુઆરી 2024 બાદ પહેલી વાર બંને દેશના વિદેશમંત્રી વચ્ચે વાત થઈ હતી. માર્ક કાર્ની સરકારના વિદેશમંત્રી અનિતા આનંદ અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટેલિફોનિક ચર્ચાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
જસ્ટિન ટ્રુડોથી વિપરીત માર્કની સરકાર દ્વારા ભારત વિરુદ્ધ નિવેદનોમાં કમી જોવા મળી રહી છે. જેને કેનેડાની નવી નીતિ તરીકે જોવાઈ રહી છે. બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે આર્થિક સહયોગ પર વાતચીત થઈ હતી. અનિતા આનંદ સાથે વાત કર્યા બાદ એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘કેનેડાની વિદેશ મંત્રી સાથે થયેલી વાતચીતની હું પ્રશંસા કરું છું. અમે ભારત-કેનેડાના સંબંધોની ભાવિ સંભાવના વિશે ચર્ચા કરી છે. હું તેમને સફળ કાર્યકાળ માટે શુભકામના આપું છું.’ અનિતા આનંદે વાતચીત મુદ્દે જણાવ્યું કે, ‘ભારત-કેનેડાના સંબંધો મજબૂત બનાવવા માટે અને આર્થિક સંબંધોને આગળ વધારવા માટે થયેલી પ્રાથમિક વાતચીત માટે વિદેશમંત્રી એસ. જયશંકરનો ધન્યવાદ. હું તમારી સાથે કામ કરવા
ઉત્સુક છું.’