ગાંધીનગરઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મેએ ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિ.મી.નો રોડ શો પૂર્ણ કરી મહાત્મા મંદિર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. શહેરી વિકાસનાં 20 વર્ષ અંગેના સંબોધન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રૂ. 5536 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિદેશી વસ્તુઓ ના ખરીદી ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે, આ વખતે બધું કેમેરાની સામે કર્યું એટલે કોઈ પુરાવા નહીં માગે.
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ
25 વર્ષ પહેલાં વિદેશથી કોઈ આવતું હોય તો લિસ્ટ મોકલતા હતા કે આ લેતા આવજો, અત્યારે વિદેશથી કોઈ આવે તો સામેથી પૂછે છે કે કંઈ લાવવું છે? અને આપણે કહીએ છીએ કે ના અહીં બધું ઉપલબ્ધ છે. આપણે લોકલ ફોર વોકલ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વેચવાની છે. ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્યબળથી થયો હતો પણ હવે જનબળથી આગળ વધશે. દરેક માણસ દેશના વિકાસ માટે ભાગીદાર બને. દેશની ઇકોનોમીને ત્રીજા નંબરે લાવવા આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવું છે અને ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે. 2047માં ભારતની આઝાદીનાં 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે દેશને એક અલગ ઊંચાઈએ લઈ જવાનો છે.
‘ગિફ્ટ સિટી નિર્માણ સમયે લોકો હસતા હતા’
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ગિફ્ટ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા કે, આટલી મોટી બિલ્ડિંગો થોડી બને, પણ આપણે કરીને બતાવ્યું. હવે દેશનું દરેક રાજ્ય કહે છે કે, અમારે પણ એક ગિફ્ટ સિટી જોઈએ છે. એટલે આપણે નિર્ધાર કરીને જીત મેળવાની છે. સ્વદેશી અપનાવી આપણે આ વિચારને સાર્થક કરી શકીએ છીએ.
હવે અમે લોથલમાં મ્યુઝિયમ બનાવીએ છીએ
પ્રધાનમંત્રીએ ટૂરિઝમ પર ભાર મૂકતાં કહ્યું કે, આપણે કચ્છના રણમાં વિદેશીઓને લાવતા કર્યા છે. આપણે નિર્ધાર કરીએ તો ગમે તે કરી શકીએ છીએ. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડનગરનું મ્યુઝિયમ જોવા દૂર-દૂરથી લોકો આવે છે. વડનગરમાં 2800 વર્ષ પ્રાચીન પુરાવા મળ્યા છે. હવે અમે લોથલમાં મ્યુઝિયમ બનાવીએ છીએ. 5000 વર્ષ પહેલાંનો વારસો આપણે ઉજાગર કરવાનો છે.
વિકાસ ક્યારેય સમાજ વિરોધી નહીં
સંબોધનમાં પીએમ કહ્યું કે, મેં કાંકરિયાનું પુનઃ નિર્માણનું કામ કર્યું અને તેમાં ટિકિટ લગાવતાં કોંગ્રેસે આંદોલન કર્યું અને કોર્ટ સુધી પહોંચી ગયા. જો કે એ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવીને રાખ્યું છે. આજે દરેક સમાજનો વર્ગ સુખેથી ત્યાં જાય છે. અટલ બ્રિજ વખતે પણ એવું જ થયું હતું. જ્યારે હું ઉદઘાટન કરવા આવ્યો તે પહેલાં જ પાનની પિચકારીઓ જોતાં મેં કહ્યું હતું કે, આના પર ટિકિટ રાખો. આ સમયે ઘણા લોકોએ કહ્યું કે, સાહેબ ચૂંટણી છે, પણ મેં દિલ્હી જઈને ફરીથી ફોન કર્યો કે ‘ટિકિટ લગાવી કે નહીં?’ અમે ટિકિટ પણ લગાવી અને ચૂંટણી પણ જીત્યા, એટલે જ કહું છું કે, વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો.
રણોત્સવથી એડવેન્ચર સ્પોર્ટ સુધીની સફર કરી
તમે વિચારો ક્યાં મીઠું અને ક્યાં હીરા? આપણે આ યાત્રા કાપી છે. આપણે યોજનાબદ્ધ પગલાં લીધાં છે. આપણી સરકારના મોડેલની ચર્ચા દેશભરમાં થાય છે. પહેલાં ગુજરાતમાં ટૂરિઝમની કોઈ વાત નહોતું કરતું, અત્યારે ગુજરાતમાં ફરવા માટે વિદેશીઓ ઊમટી પડે છે. રણોત્સવથી માંડીને એડવેન્ચર સ્પોર્ટ સુધીની સફર આપણે કરી છે.
દેશ ઇચ્છે છે કે ઓલિમ્પિક ગુજરાતમાં થાય
મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ જો સંકલ્પ ન કર્યો હતો તો વર્ષ 1947માં પણ આપણને આઝાદી ન મળી હોત. હવે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે. વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે, ત્યારે ગુજરાત ક્યાં પહોંચશે એ જોજો. ગુજરાત 75 વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઇચ્છે છ ઓલિમ્પિક ગુજરાતમાં થાય.
વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવવાનો છે
હવે દેશ વાટ નહીં જોવે, જો કોઈ વાટ જોવાનું કહે તો પાછળથી અવાજ આવે કે ‘મોદી હૈ તો મુમકિન હૈ.’ એટલા માટે મિત્રો આપણું લક્ષ્ય એક જ છે કે દેશ વિકસિત હોવો જ જોઈએ. એમાં કોઈ બાંધછોડ કરાશે નહીં, વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવવાનો છે.