સુરત કોર્ટ દ્વારા 12 વર્ષના કિશોરની દીક્ષા પર સ્ટે લગાવાયો

Wednesday 28th May 2025 06:11 EDT
 
 

સુરતઃ 12 વર્ષના કિશોરની દીક્ષા પર કોર્ટે સ્ટે લગાવ્યો છે. ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ વકીલ મારફતે દીકરાની દીક્ષા રોકવા સુરત કોર્ટમાં અરજી કરી હતી. 12 વર્ષીય દીકરાનાં માતા-પિતા બંને અલગ રહે છે. પુત્ર તેની માતા સાથે સુરતમાં રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે.
12 વર્ષના પુત્રના કબજા માટે પિતાએ કરેલી વાલી અરજીનો નિકાલ આવે એ પહેલાં જ માતાએ પુત્રને દીક્ષા અપાવવાનો કાર્યક્રમ રાખતાં પિતાએ વચગાળાની અરજી કરી દીક્ષા અટકાવવાની માગણી કરી હતી. આ અરજી ફેમિલી કોર્ટના જજ એસ.વી. મન્સૂરીએ મંજૂર રાખી ગાર્ડિયન એક્ટની મુખ્ય અરજીના નિકાલ સુધી પક્ષકારોને પુત્રને દીક્ષા ન અપાવવા કે પુત્રની કસ્ટડી અન્ય કોઈને ન આપવા વચગાળાનો હુકમ કર્યો હતો. આ કારણે દીક્ષાનો કાર્યક્રમ જ રદ થયો છે.
ચુકાદામાં નોંધ્યું હતું કે, સગીરને પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેવા સક્ષમ ગણી શકાય નહીં. પિતાએ દલીલમાં જણાવ્યું કે, નાની ઉમરે બાળક પાસેથી રમવા-ભણવાનો ત્યાગ કરાવી કઠોર તપ તરફ વધારી શકાય નહીં.


comments powered by Disqus