અમદાવાદઃ દેશમાં કેરલ થઈને મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. ગુજરાતમાં 5 જૂનની આસપાસ ચોમાસુ વિધિવત્ પહોંચવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં પાંચથી 6 દિવસ વહેલું પહોંચી શકે છે. જો કે ચોમાસાના આગમન પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 મેથી જ રાજ્યભરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. 27 મેએ મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને 40થી 50ની ઝડપે પવન સાથે છૂટાછવાયા વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં 26 મેએ સોમવારે મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરથી અલીરાજપુર અને ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયાં હતાં. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપ-વે સેવા બંધ કરી દેવાઈ હતી. સુરત જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદથી હજારો હેક્ટર જમીનમાં તૈયાર પાકને નુકસાન થયું છે. ડાંગરનો પાક તૈયાર હોવાથી કેટલાક વિસ્તારોમાં કાપણી કરીને ભેજ સૂકવવાની કામગીરી ચાલતી હતી, પરંતુ વરસાદના કારણે આ ડાંગરનો પાક પલળી ગયો છે. આ ઉપરાંત તલ, શાકભાજી, કેરી, ચીકુ, કેળાં, જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ મોટું નુકસાન થયું છે. પલળી ગયેલા ડાંગરના ગ્રેડિંગમાં ઘટાડો થવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થશે. દક્ષિણ ગુજરાતમાં સોમવારે રાત્રે મિની વાવાઝોડાથી ઘણા સ્થળે માલ-મિલકતને નુકસાન થયું છે.