ભુજઃ ગુજરાતના સલાયામાં 2018માં ઉતરેલા પંજાબ પહોંચેલા ડ્રગ્સના રૂપિયા આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા સુધી પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ એનઆઇએએ કર્યો છે. અત્યાર સુધી જે નાર્કો ટેરરિઝમની આશંકા સેવાઈ રહી હતી તેવા ગંભીર ષડયંત્રને NIA એ ખુલ્લું પાડયું છે. એટલું જ નહીં ગુજરાત ATSએ ઝડપેલા ડ્રગ્સ રેકેટનું ષડયંત્ર ઈટલી અને ઓસ્ટ્રેલિયાના બે શખ્સોએ ઘડ્યું હોવાનું અને પાકિસ્તાનના 'હાજી સાહેબ' નામના શખ્સે ડ્રગ્સ મોકલાવ્યું હોવાના પુરાવા પણ NIAને મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ આ તપાસને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

