મહેસાણાઃ વડનગરમાં 2019માં પુરાતન વિભાગને ઉત્ખનન દરમિયાન માલ ગોડાઉન નજીકથી એક સ્ટ્રક્ચર મળ્યું હતું, જેમાંથી એક માનવ કંકાલ સમાધિ અવસ્થામાં મળી આવ્યું હતું. આ માનવ કંકાલનો એક વર્ષ અગાઉ ડીએનએ ટેસ્ટ કરાયો હતો, જેમાં તે 1000 વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું, તેમજ કોઈ બૌદ્ધ સાધુ કે સંન્યાસી કે યોગસાધકે જીવતા સમાધિ લીધી હોવાનું અનુમાન છે. જોકે લખનઉ ખાતે પુનઃ આ કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાતાં તે 1200 વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. આના પરથી કહી શકાય કે વડનગરમાં વર્ષોથી વસવાટ ક્યારેય ખતમ થયો જ નથી.
આ કંકાલ વડનગર જ નહીં, દેશ માટે પણ અજાયબીસમાન છે. આથી આ અજાયબી મ્યૂઝિયમમાં સચવાય અને તેને અહીં-પ્રદર્શન માટે મૂકવામાં આવે તેવો સૂર ઊઠ્યો છે. બીજી બાજુ અધિકારીઓના જણાવ્યા મુજબ કંકાલને મ્યૂઝિયમમાં સાચવી શકાય તેમ નથી કહી જવાબદારીથી છટકી રહ્યા છે.

