અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર છેલ્લા ત્રણ માસમાં જ 8 હજારથી વધુ ચીજવસ્તુઓ મુસાફરો એરપોર્ટ પરિસરમાં જ ભૂલી જતા રહ્યા હતા. જેને એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવાઈ હતી. મુસાફરો ભૂલી જતા હોય તેવી ટોપ ફાઇવ ચીજવસ્તુઓમાં ડેટાકેબલ, બેલ્ટ, ચાર્જર, નેકપીલો અને ઘડિયાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરપોડ, કેરીબેગ, ચશ્માં, પર્સ, મોબાઇલ સહિતની ચીજો પણ ભૂલી જાય છે.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ ઘણા મુસાફરો સુરક્ષા તપાસ દરમિયાન અથવા બોર્ડિંગ ગેટ પાસે ઉતાવળમાં પોતાની વસ્તુઓ ભૂલી જતા હોય છે. જ્યારે કેટલાક મુસાફર ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ ટેક્સી તરફ દોડતા વસ્તુઓ ભૂલતા હોય નથી. એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં આવી તમામ વસ્તુઓ નિયમિત રીતે રજિસ્ટર કરાય છે અને મુસાફરો ઓળખ પુરાવા સાથે પોતાની વસ્તુઓ લઈ જઈ શકે છે. વિશ્વભરમાં દરેક એરપોર્ટ પર અને ખાસ કરીને હિથ્રો, ન્યૂયોર્ક જેવા અત્યંત વ્યસ્ત અને વિશાળ એરપોર્ટ પર આનાથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાની વસ્તુઓ ભૂલી જતા હોય છે.
