સુરતઃ નવસારીમાં પારસી સમુદાયે 1100 વર્ષના ઇતિહાસને ટાઇમ કેપ્સ્યૂલમાં સંરક્ષિત કરી પારસી ધર્મગુરુઓએ અગ્નિદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉત્સવમાં પારસી ધર્મગુરુઓ સાથે પારસી સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
પારસી સમુદાય ધર્મની રક્ષા માટે 1100 વર્ષ પૂર્વે ઇરાનથી સ્થળાંતર કરી ભારતના ગુજરાતમાં આવેલા સંજાણ બંદરે પોતાના પવિત્ર અગ્નિ ‘આતશ બહેરામ’ સાથે આવ્યા હતા. દૂધમાં સાકરની જેમ ભળી જનારો પારસી સમુદાય આજે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી છે. નવસારી પારસી સમાજ માટે ધર્મનગરી તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. આ પવિત્ર આતશ બહેરામ બિલ્ડિંગમાં વિશેષ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં પારસી સમુદાયે 1100 વર્ષના ઇતિહાસને ટાઇમ કેપ્સ્યૂલમાં સંગ્રહિત કર્યો હતો.
શું છે ટાઇમ કેપ્સ્યૂલ?
પારસી અગ્રણી કેરસી દેબુએ જણાવ્યું કે, ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પવિત્ર આતશની રક્ષા કરીને ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને પ્રગતિ સાધી એનો ઉલ્લેખ કરાયો છે.
આ પ્રક્રિયા હેઠળ સ્ટેઇનલેસ સ્ટીલની સમચોરસ પેટી બનાવી છે. તેમાં પુસ્તકો, ઇતિહાસ, ધાર્મિક ગ્રંથો ઉપરાંત જરૂરી સાધનો મૂકી વેક્યુમથી સીલબંધ કરાયાં છે. જે 100 કે તેથી વધુ વર્ષ સુધી ટકી રહેશે. તેના ઉપર તાપમાનની અસર થતી નથી.

