નવસારીઃ જલાલપોર તાલુકાના ઓંજલ ગામના એક યુવાનની ફરિયાદના આધારે મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાના બહાને 21 યુવાનો સાથે રૂ. 40.34 લાખની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ઓંજલમાં રહેતા માછીમાર તુરંગમાર ટંડેલની દોઢ વર્ષ પહેલાં તેમના મિત્ર તર્પણ મારફતે વિનોદ પટેલ સાથે મુલાકાત થઈ હતી. વિનોદે તુરંગકુમારને મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. વિનોદે એડવાન્સ ફી પેટે રૂ. 2 લાખ મેળવ્યા હતા. બાદમાં મુંબઈમાં ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. જે બાદ જોબ ઓફર આવી ગઈ હોવાનું જણાવી ટિકિટના બહાને વધુ રૂ. 50 હજાર પડાવી લીધા હતા વિનોદે માત્ર તુરંગકુમાર સાથે જ નહીં, પરંતુ 21 યુવાનો સાથે આ જ રીતે છેતરપિંડી આચરી હતી, જેમાં કુલ રૂ. 40.34 લાખની રકમ તેના દ્વારા પડાવી લેવાઈ હતી.

