ગાંધીનગર: આખરે રાજ્યની 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની ચૂંટણીપંચ દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી. ચૂંટણીપંચ અનુસાર 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. તો 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મત ગણતરી થશે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી, ત્યારે હવે ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી ચૂંટણીનો માર્ગ મોકળો થશે. દોઢ વર્ષ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. અગાઉ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને 19 મે સુધીમાં વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવા સૂચના અપાઈ હતી.
ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ ઓબીસી અનામત મુદ્દે ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ અટકી પડી હતી, ત્યારે હવે આ ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણીપંચે અગાઉ તમામ જિલ્લા કલેક્ટરને ચૂંટણીને લઈને એલર્ટ થવાની સૂચના આપી હતી. જે અંતર્ગત હવે 30 જૂન સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે, એ તમામ 8240 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.
રાજ્ય ચૂંટણીપંચે ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીઓની નિયુક્તિ કરવા માટે આદેશો પણ આપ્યા છે.
કડી-વિસાવદર માટે 49 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું છે, જ્યારે કડીમાં રાજેન્દ્રભાઈ ચાવડાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે રવિવારે સાંજે કડી બેઠક પર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે, જ્યારે વિસાવદર બેઠક પર છેલ્લે છેલ્લે નીતિન રાણપરિયાનું નામ જાહેર કરાયું છે. આપ તરફથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને કડી બેઠક પરથી જગદીશ ચાવડાને ટિકિટ અપાઈ છે. કડી વિધાનસભા બેઠક પર અપક્ષ સહિત કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે, જ્યારે વિસાવદર બેઠક પરથી અપક્ષ સહિત કુલ 31 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં છે. આમ બંને બેઠક પરથી કુલ 49 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.
ભાજપના કિરીટ પટેલે રીબડિયાને સાથે રાખી ફોર્મ ભર્યું
વિસાવદર બેઠકની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જૂનાગઢના પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ફોર્મ ભરતા સમયે હર્ષદ રીબડિયાને સાથે રાખ્યા હતા. કિરીટ પટેલે ખેડૂતો, સહકારી નેતાઓનું સમર્થન છે તેવું સાબિત કરવા માર્કેટયાર્ડ સવારે બંધ રખાવ્યું હતું. આ ઉપરાંત અગાઉ રાજકીય ઘર્ષણ થઈ ચૂક્યું છે તેવા 2022ની ચૂંટણી હારેલા હર્ષદ રીબડિયાને ફોર્મ ભરતાં સાથે રાખ્યા હતા.
ગોપાલને ખરીદી બતાવો
ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 19 જૂન 2025ના રોજ યોજાવાની છે અને 23 જૂને મતગણતરી થશે. વિસાવદરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. એ બાદ જનઆશીર્વાદ યાત્રા કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ નિમિત્તે કેજરીવાલે કહ્યું કે, વિસાવદરવાસીઓ ભાજપ તમને ચેતવણી આપે છે કે તમે કોઈપણને જીતાડો, અમે તેને ખરીદી લઈશું. આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે તમારી સામે અમારો હીરો ઊભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે તમે ગોપાલને ખરીદી બતાવો તો હું રાજકારણ છોડી દઈશ. બીજી તરફ શંકરસિંહ વાઘેલાની ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવાર બદલીને લાલજી કોટડિયાની જગ્યાએ કિશોર કાનગડને મેદાને ઉતાર્યા છે, જેમણે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.