ભુજઃ એનઆરઆઇ મિલકતધારકોની વારસાઈ મિલકતોના વેચાણ માટે આધાર કાર્ડથી મુક્તિ આપવાની માગણી નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી સમક્ષ કરાઈ હતી. જેથી સર નિરીક્ષકની કચેરી દ્વારા આધાર કાર્ડ ન હોય તેવા કિસ્સામાં ઓળખના વિવિધ 14 પુરાવા પૈકી કોઈપણ એક પુરાવાના આધારે દસ્તાવેજની નોંધણી કરાવી શકાશે તેમ જણાવ્યું હતું.
આ અંગે સુખપરના ઋષિ જનાર્દનભાઈ ઉપાધ્યાયે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, એનઆરઆઇ મિલકતધારકોને દસ્તાવેજ નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત માગવામાં આવતું હતું. જે અંગે લેખિતમાં રજૂઆત કરાઈ હતી, જેના પગલે નાયબ નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં દસ્તાવેજ લખી આપનારા, લખાવી લેનારા તથા ઓળખ આપનારા પક્ષકારોના ફોટો સહિતના ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ રજૂ કરવી.
જો કે બિનનિવાસી ભારતીય નાગરિકો (NRI) પાસે આધાર કાર્ડની નકલ ઉપલબ્ધ ન હોવાથી નિયત કરાયેલા ઓળખના 14 પુરાવા પૈકી કોઈપણ એક પુરાવાની ખરી નકલ મેળવીને નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવા જણાવાયું હતું. આથી ઓળખના 14 પુરાવા પૈકી કોઈપણ પુરાવાના આધારે દસ્તાવેજની નોંધણી કરાવી શકાય છે તેમ જણાવાયું.
મિલકતોના દસ્તાવેજોની નોંધણી ઓનલાઇન કરવા કેન્દ્રનો નિર્ણય
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના જમીન સ્રોત વિભાગ દ્વારા દેશના રજિસ્ટ્રેશન કાયદામાં ઐતિહાસિક પરિવર્તન કરવાની તૈયારી કરાઈ છે. 1908થી અમલમાં જૂના રજિસ્ટ્રેશન અધિનિયમને બદલીને ‘નોંધણી વિધેયક, 2025’ લાવવાનો નિર્ણય લેવાયો છે. તે માટે વિધેયકનો મુસદ્દો જાહેર કરીને સમગ્ર દેશથી 30 દિવસમાં સામાન્ય લોકો અને તજજ્ઞો પાસેથી સૂચનો મગાયાં છે. કેન્દ્ર સરકાર મિલકતોની નોંધણીની પ્રક્રિયા બદલવા જઈ રહી છે. જે અંતર્ગત હવેથી તમામ પ્રકારના દસ્તાવેજો ઓનલાઇન થશે અને તેના માટે કેન્દ્ર સરકારે એક મુસદ્દો જાહેર કર્યો છે, જેમાં જાહેર જનતા પાસેથી 30 દિવસમાં સૂચનો મગાવાયાં છે, જે બાદ આ વિધેયક લોકસભામાં પસાર કરાશે. આ બિલ પસાર થયા બાદ તેનો અમલ કરાશે.
આ નવા બિલથી લોકોને દસ્તાવેજ માટે રજિસ્ટ્રી બ્રાન્ચમાં ધક્કા નહીં ખાવા પડે તેમજ ટોકન લેવાની પળોજણથી મુક્તિ મળશે. એટલું જ નહીં મિલકત લેનારા કે વેચનારા તથા સાક્ષીઓને ઓફિસમાં લઈ નહીં જવા પડે. આ ઉપરાંત નવા કાયદામાં સુધારા દસ્તાવેજોનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. દસ્તાવેજ કરનારા વકીલોનું કહેવું છે કે, કાયદામાં દસ્તાવેજની તમામ પ્રક્રિયા ઓનલાઇન થશે તો જ લોકોને રાહત થશે.