અમદાવાદઃ દરવર્ષે કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. 40 લાખ પૈકી 21 લાખ વૃક્ષો ખાનગી એજન્સીઓ પાસેથી ખરીદાશે. જો કે પ્રથમ વખત આ એજન્સીઓને 2 વર્ષ સુધી આ વૃક્ષો ઉછેરી તેમાં 90 ટકા સર્વાઇવલ લાવવા માટેની શરત ટેન્ડરમાં લાગુ કરાઈ છે. જો આ કામગીરી થશે તો જ 100 ટકા રકમ ચૂકવાશે. રૂ . 70 કરોડના ખર્ચે 40 લાખ વૃક્ષો વાવવામાં આવશે અને બે વર્ષના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આ એજન્સીઓને અપાયો છે. આ મુજબ વૃક્ષો જીવંત રહેશે તો શહેરના ગ્રીન કવરમાં સીધો 1 ટકાનો વધારો થશે.
રિક્રિએશન કમિટીના ચેરમેન ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમારે જણાવ્યું હતું કે, આગામી ચોમાસા દરમિયાન 21 લાખ વૃક્ષો ઉગાડાશે. 5.25 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં વૃક્ષો ઉગાડાશે, જેના માટે તમામ વોર્ડ અને વિધાનસભા મુજબ પ્લોટ નક્કી કરાયા છે.