કચ્છના સુપ્રસિદ્ધ વાંઢાય તીર્થધામની ગુરુગાદીનો વિવાદ હાઈકોર્ટમાં

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

અમદાવાદઃ કચ્છના જાણીતા શ્રી ઇશ્વર આશ્રમ ટ્રસ્ટ, વાંઢાયની ગુરુગાદી અને ટ્રસ્ટીશિપ અંગેનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.
ટ્રસ્ટ કચ્છમાં શ્રી ઉમિયા માતાજી મઢનું સંચાલન કરે છે, જે વાંઢાય તીર્થધામ તરીકે વધુ જાણીતું છે. ખાસ કરીને આ પ્રદેશમાં વિચરતા સાધુ-સંતોને અનેકવિધ સેવા પૂરી પાડે છે. વર્તમાન ગાદીપતિ સાધુ મોહનદાસજી અને પ્રતિવાદી ટ્રસ્ટીઓ તરફથી કરાયેલી અલગ-અલગ રિટ અરજીના કેસની સુનાવણી લંબાણપૂર્વક ચાલ્યા બાદ જસ્ટિસ જે.એલ. ઓડેદરાએ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
કેસની વિગતો મુજબ ગત 20 ફેબ્રુઆરી 2012ના રોજ વાંઢાય તીર્થધામના ગાદીપતિ ગુરુ કરસનદાસજી ગુરુ શાંતિદાસજીનું અવસાન થયું હતું, ત્યારથી ટ્રસ્ટનું સંચાલન સાધુ મોહનદાસજી ગુરુ કરસનદાસજી દ્વારા કરાઈ રહ્યું છે. વાંઢાય તીર્થધામની ગાદીપતિ તરીકેના તેમના અધિકાર અને સંચાલનને તીર્થધામના અનુયાયીઓ અશોકભાઈ માંગ તથા અન્યોએ હાઇકોર્ટમાં પડકાર્યું હતું. તો હાલના ગાદીપતિ સાધુ મોહનદાસજીએ પણ પ્રતિવાદીઓને સમાવતી એડહોક કમિટી રચવાના જોઇન્ટ ચેરિટી કમિશનર, રાજકોટના વિવાદિત નિર્ણયને પડકાર્યો હતો. આગામી દિવસોમાં આ વાંઢાય તીર્થક્ષેત્ર અંગેનો નિર્ણય આવી જવાની શક્યતા છે.


comments powered by Disqus