કચ્છીમાડુ અને કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ નિલય અંજારિયાની સુપ્રીમ કોર્ટમાં વરણી

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

અમદાવાદઃ મૂળ ગુજરાતના કચ્છના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુકિત કરવા બહાલી અપાઈ છે. આ સિવાય ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. ચંદુકરને પણ સુપ્રીમ કોર્ટ જજ તરીકે બહાલી મળી છે. જસ્ટિસ નિલયભાઈ અંજારિયા સર્વપ્રથમ કચ્છી છે, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશપદે નિમાયા છે. ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ પટણા હાઇકોર્ટના જજ વિપુલ પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ થઈ હતી.
પરિવાર ન્યાયપ્રક્રિયા સાથે સંકળાયેલો
જસ્ટિસ એનવી અંજારિયાનો પરિવાર વર્ષોથી ન્યાય પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. મૂળ કચ્છ માંડવીના જસ્ટિસ અંજારિયાના દાદા સુબોધભાઈ અને પિતા વિપીનભાઈ માંડવી કોર્ટમાં એડવોકેટ હતા. દાદા અને પિતા ઉપરાંત તેમના નાના જમિયતરાયભાઈ પણ કચ્છ જ્યારે સ્ટેટ હતું ત્યારે રાજાના સલાહકાર હતા અને તેમના મામા જસ્ટિસ કનુભાઈ વૈદ્ય હાઇકોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમના શ્વસૂર ઈશ્વરભાઈ દવે પણ ભુજ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું ભુજના સિનિયર ધારાશાસ્ત્રી ભરતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું.


comments powered by Disqus