સુરતઃ હીરાઉદ્યોગમાં ભારે મંદીના કારણે ડાયમંડ વર્કર્સ ભારે મુસીબતમાં મુકાયા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર અને ડાયમંડ યુનિયન તેમની મદદે આવ્યાં છે. હાલ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોનાં બાળકોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે રવિવારે રાત્રે 9 વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ તથા બાળકોને નોટબુક વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા ગોવિંદભાઈ ધોળકિયા, લાલજી પટેલ, જીવરાજ ગાબાણી તથા દિનેશ નાવડિયા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારનું આર્થિક પેકેજ
ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મીટિંગના 74 દિવસ બાદ 24 મેએ રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું કે, રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ રૂ. 13,500 સુધીની માફ કરાશે. આ ફી સરકાર DBT મારફતે ટ્રાન્સફર કરાશે, જ્યારે નાના ઉદ્યોગોને રૂ. 5 લાખની લોન પર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે. નાના ઉદ્યોગો માટે રૂ. 2.50 કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એટલે કે જે એકમો 31 માર્ચ 2025 પહેલાં ઉદ્યોગ વિભાગમાં રજિસ્ટર હોય તેમને જ લાભ મળશે.
કોને વ્યાજમાફી અને વીજસહાય?
MSME હેઠળ આવતાં નાનાં કારખાનાં એટલે કે રૂ. 2.50 કરોડથી ઓછું રોકાણ હોય અને 2022-23 અને 2023-2024 અને 2024-25માં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમો 31 માર્ચ 2025 પહેલાં ઉદ્યોગ વિભાગમાં નોંધાયેલા હોવા પણ જરૂરી છે. જે અનુસંધાને સરકારે આત્મહત્યા કરનારા રત્નકલાકારોની યાદી પણ મગાવી છે.